Archive for category વાર્તામાં વળાંક
વાર્તામાં વળાંક: પગલુછણીયાની આત્મકથા
Posted by saksharthakkar in વાર્તામાં વળાંક on February 5, 2010
ક્યારેક જીવનનો અર્થ શોધવામાં ઘણું મોડું થઇ જાય છે, મારે પણ એવું જ થયું.
મારો જન્મ એક કારખાનામાં થયો, જન્મબાદ મને મારો આકાર અને માપ જોઇને લાગ્યુ કે મારો ઉપયોગ કોઇ નાના બાળકને ઠંડીથી બચાવવા માટે થશે, નાના ચોરસા તરીકે. અને એ જ હોશમાં હું ગયો એક “સસ્તાં પ્રોવિઝન સ્ટોર” માં. એક દિવસ મને ત્યાંથી બે સ્ત્રીઓ આવી ને ખરીદી ગઇ. હું એકદમ ખુશ હતો, મને થયું કે મારુ જીવન સાર્થક થઇ ગયું, મારો જન્મ કોઇ બાળક ને ઠંડીથી બચાવવા થયો છે ને તે હવે હું કરી શકીશ.
મને એમના ઘરે લઇ જવામાં આવ્યો અને બહારનાં કક્ષની બહાર નાંખવામાં આવ્યો, પહેલા તો મને એમ થયું કે એ લોકોથી ભુલથી હું પડી ગયો હોઇશ, પણ જયારે મારી પર પગ લૂછવામાં આવ્યા ત્યારે મને મારા જીવનનો સાચો અર્થ સમજાયો. અને હું દુઃખી થઇ ગયો.પણ પછી મને થયું આમ દુઃખી થવાથી થોડું ચાલે. ગમે તેમ તોય હું ગંદકી સાફ કરું છું, ભલે મને એટલું માન ના મળે. દિવસે દિવસે મારો ઉપયોગ જેમ જેમ થવા માંડ્યો મારી પર ગંદકીના થર જામવા માંડ્યા. જો કે એક દિવસ એક સ્ત્રી ઘર સાફ કરતી કરતી મારી પાસે આવી અને મને થયુ કે હાઇશ હવે મને પણ સાફ કરવામાં આવશે અને થયું પણ એવું જ.
પણ મને સાફ કરવાની જે રીત હતી તે મને અનુકુળ ન આવી. એણે મને ઉંચકીને દિવાલ સાથે(એ પણ ઘરની બહારની, જ્યાં સિમેન્ટ ઉપસેલો હોય ત્યાં) પછાડવામાં આવ્યો. અને જે મારા શરીરનાં હાલ થયા. ત્યારપછી, જ્યારે જ્યારે પણ મને સાફ કરવામાં આવતો, મને ઘણો જ દર્દ થતો. આ જ મારા જીવનની કરુણતા હતી, જ્યારે સાફ થતો ત્યારે મારવામાં આવતો અને બાકી નો ટાઇમ ગંદો કરવામાં આવતો.
એક દિવસ મારી માલકણ, ઘરમાં આવી અને એની થેલી માંથી બીજા મારા જેવા જ પગલૂંછણીયાને નાખવામાં આવ્યો. અને મને ઉઠાવીને કચરાટોપલીમાં. મંગુભંગી મને બીજા કચરા સાથે લઇ જતો હતો અને એને એક વિચાર આવ્યો મને જોઇને, એણે મને પાણી થી અને સાબુથી સરસ સાફ કર્યો, અને એના બાળક પર ઓઢાળી દીધો. ત્યારે મને થયું કે ગરીબો જે સુખ આપી શકે છે એ અમીરો નહિ આપી શકે, અને મારું જીવન સાર્થક થયું.
આમ, પહેલા કપરા દિવસો કાઢીને અત્યારે હું સરસ જીવન વિતાવું છું પણ જે દિવસે મને જૂના ઘર માંથી કાઢવામાં આવ્યો હતો તે દિવસની વાત યાદ કરીને, મને અત્યારે પેલા બીજા પગલુછણિયાની ચિંતા થાય છે એને જ્યારે મારી પાસે ઘરમાં લાવવામાં આવ્યો ત્યારે તેણે મને પુછ્યું હતું કે, ” નાનું બાળક ક્યાં છે?” અને હું કાંઇ જવાબ આપું એની પહેલા જ મને કચરાટોપલીમાં નાખવામાં આવ્યો હતો.
-સાક્ષર
તા.ક. – આ સંસારચક્ર ચાલ્યા જ કરશે. પગલુછણિયા બદલાયા કરશે પણ માણસ નહિ બદલાય.
વાર્તામાં વળાંક: Punch-તંત્ર
Posted by saksharthakkar in વાર્તામાં વળાંક on October 27, 2009
એક કાગડો – પુરી નો ટુકડો લઇ ઝાડ પર બેસવુ – નિચે થી શિયાળ નુ પસાર થવુ – શિયાળ દ્રારા કાગડા ના સુરીલા કઁઠ ના ખોટા વખાણ કરવા – કાગડા ના મોઢામાથી પુરી પડિ જવિ – શિયાળ નુ પુરી ખાઇ જવુ
(વાર્તામાં કંઈ નવું ન હોવાથી ટૂંક માં પતાવ્યું છે, બાકી કાગડાની ચાંચ વિષેનું વર્ણન ૨ પાનાનું કરી શકનાર લોકો પણ આ જ પૃથ્વી પર છે)
એક વખત એક શિયાળને બહુ ભૂખ લાગી હતી. ક્યાંક કશું મળે, એની તલાશમાં એ બધી તરફ નજર નાખતું નાખતું જંગલ માં ભટકતું હતું. એક વેલ પર એણે દ્રાક્ષ લટકતી જોઈ, ત્યાં જઈને કુદી ને એ દ્રાક્ષ લેવા નો પ્રયત્ન કર્યો, પણ નિરર્થક રહ્યો. ફરી થી કુદ્યો, ફરી કંઈ હાથમાં(મોઢામાં) ન આવ્યું. બહુ પ્રયત્નો બાદ એ આગળ ચાલતું થયું. હજુ સુધી શિયાળ આજુ બાજુ નજરતો નાખતું જ હતું. થોડા કદમ ચાલ્યા બાદ, એક ઝાડ ઉપર એક કાગડો મોઢામાં પૂરી લઇ ને બેઠો હતો, અને શિયાળ ને અચાનક એક વિચાર આવ્યો. એણે કાગડાની ગાયકી ના ખોટા વખાણ કરવા નું ચાલુ કર્યું અને આ સાંભળીને કાગડો ફુલાઈ ગયો અને ગીત ગાવા માંડ્યો અને તેને કારણે તેની ચાંચમાં થી પૂરી નીચે પડી. શિયાળ એ પૂરી ને ખાઈ ગયો.
બોધ – Recession નાં જંગલમાં Opportunity ની વેલ પર Job (દ્રાક્ષ)નું ઝુમખું ભલે થોડું ઊંચું લટકતું હોય અને બહુ કુદકા મારો અને હાથ માં નહિ આવે એવું લાગતું હોય, થોડા કદમ આગળ પેલી દ્રાક્ષ કરતા દસ ગણી ઊંચાઈવાળા ઝાડની ટોચ પર એક Employer (કાગડો) હમેશા તમારા માટે Job (પૂરી) લઇ ને બેઠો જ હોય છે બસ તમારા માં આવડત હોવી જોઈએ એ કઢાવવાની.
તા.ક. – “વાર્તાઓ મહત્વની નથી હોતી, એમાંથી લેવાતો બોધ મહત્વનો હોય છે. “
વાર્તામાં વળાંક: પહેલી ચા ઢોળવા પાછળનુ Logic
Posted by saksharthakkar in વાર્તામાં વળાંક on July 15, 2009
” ચાની કીટલી વાળા સવારની પહેલી ચા રસ્તા ઉપર ઢોળી દે છે. પહેલી ચા ને જગ-ડખા ની ચા પણ કહે છે.”
બહુ વખત પહેલાની વાત છે. અડધી વાર્તા તો બધાને ખબર જ છે એટલે એના મુદ્દા લખી કાઢુ છુ… કોઇને ઇચ્છા થાય તો એના પર થી વાર્તા લખી લેવી…
પાર્વતીજી નો આદેશ – ગણપતિ નુ બારણે ઉભા રહેવુ – શંકર ભગવાનનુ ગણપતિ નુ મસ્તિષ્ક કાપવુ – પાર્વતીજી નો ગુસ્સો – માર્ગમાં જે પહેલુ મળે એનુ મસ્તિષ્ક લાવવાનો આદેશ( હા આદેશ…ભલે ને ભગવાન રહ્યા…પત્નીનો હમેશા આદેશ જ હોય… એ ટાઇમ થી ચાલ્યુ આવે છે)
હવે આપડા Interest ની વાત ચાલુ થાય છે:
તો ભગવાન શંકર નીકળ્યા ત્રિશુળ લઇને માર્ગમાં જે પહેલુ મળે એનુ મસ્તિષ્ક લેવા માટે(BOSS નો Order હતો ને!!!)… હવે ચાલતા ચાલતા પાર્વતીજી ના ગુસ્સા પ્રત્યે જ ધ્યાન હતુ…એટલે એવા વિચારો માં માર્ગ પર જોતા ન હતા…ત્યાં રસ્તામાં બે નિર્દોષ દેડકા(દેડકાઓ હંમેશા નિર્દોષ જ હોય છે…કોઇ દિવસ તમને દેડકો કરડ્યો છે?) રમતા હતા… એમને મહાદેવના પગની લાત વાગી…અને દુર ફેંકાઇ ગયા…અને બંનેને માથામાં બેઠો માર પડ્યો(માર હંમેશા બેઠો જ કેમ હોય છે??? કોઇ ને ખ્યાલ છે ?)… અને માથુ દુ:ખવા લાગ્યુ… અને
બંને મહાદેવને રોકવા માટે બુમો પાડવા લાગ્યા… “ઘોર અન્યાય મહાદેવ….ઘોર અન્યાય”
શંકર ભગવાનને થયુ, ” યાર આજે કોનુ મોઢુ જોયુ તુ સવારે?? એક તો ઘરે અન્યાય કરીને આવ્યો…પત્ની નુ Tension ને એમાં આ બીજા કોઇ ને અન્યાય કરી નાખ્યો “
ભગવાન રોકાયા… બંને દેડકા કહે, ” હે પ્રભો! તમે લાત મારી ને અમારુ માથુ દુખે છે, કંઇક ઉપચાર કરો.. અને હવે અમારી આખી પેઢીને માથુ દુ:ખશે”
ભગવાને કહ્યુ, ” હે દેડકાઓ…ચિંતા ન કરો…જાઓ હું તમને વરદાન આપુ છુ…(શંકર ભગવાન વરદાન આપવામાં Champion હતા…સૌથી વધારે વરદાન આપવાનો રેકોર્ડ એમના નામે છે… એમને મહાદેવ કહેવાય છે એનુ એક કારણ એ પણ છે)…કે દરેક ચા વાળો પહેલી ચા તમને પાશે… જેથી તમારી આવનારી દરેક પેઢીમાં કોઇને માથાનો દુ:ખાવો નહિ થાય.”
બંને દેડકાઓ એ કહ્યુ, ” પણ અમે મોટાભાગનો સમય તો જમીન ની અંદર હોઇએ છે શીતનિંદ્રામાં…”
ભગવાન ઉવાચ , “હે દેડકાઓ… ચિંતા ન કરો…ચા વાળો પહેલી ચા જમીન પર ઢોળશે…અને તમે શીતનિંદ્રા દરમિયાન જમીનમાં પણ ચા મેળવી
શકશો..”
એક દેડ્કો બોલ્યો: “Thank you ભગવાન. પણ Excuse Me …તથાસ્તુ તો બોલો.”
ભગવાન : ” તથાસ્તુ “
અને ત્યારથી ચા વાળો પહેલી ચા જમીન પર ઢોળે છે.
હા અને પેલા બે દેડકાઓ નુ નામ હતુ : “જગ” અને “ડખો”
એટલે પહેલી ચા ને “જગ-ડખા” ની ચા કહે છે…
(નોંધ – વાર્તામાં આવતા “અમુક” પાત્રો અને તમામ ઘટનાઓ કાલ્પનિક છે. તેમની કોઇ પણ જીવીત કે મૃત વ્યક્તિ,દેડકા કે ઘટના સાથે થતી સમાનતાને માત્ર એક સંયોગ ગણવો)
વાર્તામાં વળાંક: કીડી અને ગોળ
Posted by saksharthakkar in વાર્તામાં વળાંક on March 18, 2009
એક કિડિ – ગોળ નો રવો – ગોળ નુ અભિમાન કે તુ આટ્લો મોટૉ રવો નહિ લઇ જઇ શકે – ધિમે ધિમે રોજ ટુક્ડે ટુકડે ગોળ લઇ જવો – ગોળ નુ અભિમાન ચુરચુર – બોધ
એક કીડી હતી. તેનુ નામ ઝીણી હતુ.(હા આવા બધા જ નામ હોય એ લોકોમાં) એ એક “ગોળલાવો લિમિટેડ” કંપનીમાં કામ કરતી હતી. કંપનીના નામમાં જ લિમિટેડ હતુ. બાકી કામ તો અનલિમિટેડ હતુ. બધી કામદાર કીડીઓ બિચારી મોટા મોટા ગોળના રવા ઉચકીને થાકી જતી હતી. એક દિવસની વાત છે, ઝીણી કામ પર ગઇ, એ દિવસે એ ઘરમાં દાળ બની રહી હતી અને ગૃહિણીથી ભુલથી ગોળનો મોટો રવો બહાર પડી ગયો. એ મોટા ગોળના રવાને લાવવાનું Assignment ઝીણીને સોંપવામાં આવ્યુ. આટલુ મોટુ કામ કેવી રીતે થશે એમ વિચારીને ગોળની નજીક ગઇ અને ત્યારે જ ગોળ બોલ્યો, “તુ આટ્લો મોટૉ રવો નહિ લઇ જઇ શકે” અને આ સાંભળીને કીડીનો Confidence વધારે Down થઇ ગયો એણે પ્રયત્ન કર્યો પણ ઝીણીથી ગોળનો રવો સહેજ પણ ખસ્યો નહિ. આખો દિવસ પ્રયત્ન કર્યા પછી પણ કંઇ થયુ નહિ. સાંજે Reporting Meeting માં ઝીણીના Boss એ Submission માગ્યુ, પણ ઝીણી પાસે કંઇ હતુ નહિ. તો ઝીણી ના Boss એ ધમકી આપી ને કહ્યુ, ” હમણા Recession ચાલે છે અને આપણી કંપની ના Board Of Directors એ Cost Cutting માટે Lay-off કરવાનુ વિચાર્યુ છે. તો કાલથી બરાબર કામ નહિ થાય તો Black List માં તારુ નામ પણ આવી જશે”. આ સાંભળીને ઝીણી Tension માં આવી ગઇ અને ઘરે જઇ ને ઉંઘી ન શકી અને વિચારવા માંડી શુ કરુ શુ કરુ તો Lay-offથી બચી શકાય અને એને એક ઉપાય સુઝ્યો એ ધીમે ધીમે ટુકડા કરી કરીને ગોળ લઇ જવા માંડી અને 2-3 દિવસ માં બધુ કામ પુરુ થઇ ગયુ. ગોળ નુ અભિમાન ચકનાચુર થઇ ગયુ.
બોધ – Recession ના ટાઇમમાં Lay-offના ડરના લીધે કામદારોના કામની ગુણવત્તા સૌથી ઉચ્ચસ્તરે જોવા મળે છે.
વાર્તામાં વળાંક : વાંસળીવાળો
Posted by saksharthakkar in વાર્તામાં વળાંક on March 15, 2009
એક ગામ – ઉંદરોનો ત્રાસ – વાંસળીવાળો – ઉંદરો નો નિકાલ – સાર
એક ગામ હતુ. એની પાસે થી એક નદી વહેતી હતી. તો એક વખત એ નદીમાં એકવાર પુર આવ્યુ અને નદીનું બધુ પાણી ઘરોમાં ભરાઇ ગયુ અને પાણી પોતાની સાથે ઉંદરોને પણ લેતુ આવ્યુ.(BREAKING NEWS – પાણીમાં ઉંદર)
તો એ ગામ વાળાઓ ઉંદરથી ત્રાસી ગયા હતા. ગામના લોકો એ ઉંદરને પકડવા માટે ઉંદર પકડવાનાં પાંજરા મુક્યા, પણ ઉંદરો ચતુર હતા(જેવા તેવા થોડા હતા, પાણીના ઉંદર હતા). એટલે એકપણ ઉંદર પકડાયો નહિ. પછી ગામલોકો ઉંદર મારવાની દવા લઇ આવ્યા પણ તો પણ કોઇ ફરક નહિ(આખરે પાણીનાં ઉંદર હતા). છેવટે ગામલોકો એ એક બેઠક રાખી આના ઉપાય માટે, તેમાં લોકો ઘણા ઉપાય સુઝવતા હતા, એમાં એક બીજા ધોરણ નાં છોકરાએ વાંસળીવાળાની વાર્તા કહી. અને કીધુ કે આપણે એ ટ્રાય કરીએ. તો ગામલોકો એ એવુ કરવાનુ વિચાર્યુ. અને બાજુ ના ગામમાંથી એક વાંસળીવાળાને બોલાવ્યો(એમના ગામમાં નહોતો એટલે). હવે એ વાંસળીવાળાએ આવીને વાંસળી વગાડવાની ચાલુ કરી અને ખુબ જ બેસુરી હોવાથી ઉંદરોના કાન સહન ના કરી શક્યા (કેવી રીતે સહન કરે ,પાણીનાં ઉંદર હતા). એટલે બધા ઉંદર બહાર નીકળવા માંડ્યા પણ વાંસળીવાળાએ વાર્તા મુજબ એ પણ ગામની બહાર ચાલ્વા લાગ્યો એને એમ કે આ લોકોને વાંસળીના સુર ગમ્યા એટલે મારી સાથે આવશે, પણ જેવો પેલો ગામની બહાર નીકળ્યો એવા બધા ઉંદર પાછા ઘરોમાં સમાઇ ગયા. એટલે ગામ વાળાઓને ફરી આઇડિયા આવ્યો અને પાછો વાંસળીવાળાને બોલાવ્યો અને એને કીધુ કે જ્યાં સુધી આ ઉંદરો ભાગી ન જાય ત્યાં સુધી વગાડ અને એણે વગાડી અને ઉંદરોના કાન સહન ના કરી શક્યા એટલે બધા ઉંદરો ગામ છોડી ને નાસી ગયા. બીજા પાણીની તલાશમાં. આખરે પાણીનાં ઉંદર હતા. ગામલોકો એ નિરાંતનો શ્વાસ લીધો.
બોધ – સંગીતમાં ખુબ જ તાકાત છે, પછી ભલે એ સુરીલુ હોય કે બે સુરુ.
વાર્તામાં વળાંક: રીંછ અને બે મિત્રો
Posted by saksharthakkar in વાર્તામાં વળાંક on March 13, 2009
બે મિત્રો- જંગલમ ફરવા જવુ- સામેથી રિછ્નુ સામા મડવુ-એક મિત્રનુ બિજાને મુકિને ઝાડ પર ચડિ જવુ-બિજાનુ સ્વાસ રોકિને જમિન પર સુઇ જવુ- રિછ તેને સુન્ગી ને જતુ રહે છે-બિજા મિત્રનુ પુછવુ રિછે શુ કહ્યુ? -બોધ
બે મિત્રો હતા, છગન અને મગન.કંઇ કામ હતુ નહિ તો જંગલમાં ફરવા નીકળ્યા’તા. તો ચાલતા ચાલતા રસ્તામાં એ લોકો જુએ છે કે એક રિંછ રસ્તામાં પડ્યો’તો. તો પહેલા તો બંને ગભરાઇ ગયા. પણ પછી છગને હિંમત કરીને ધીમા પગે એની નજીક ગયો. જોયું તો રીંછ પડેલો જ હતો..એના ધબકારા ચેક કરવા માટે છાતી પર હાથ મુક્યો, તો રીંછે તરત જ હાથ પકડી લીધો અને એ જોઇને મગન ત્યાંથી ઝાડ પર ચડી ગયો. છગનને લઇ ને રીંછ ગુફામાં જતો રહ્યો. થોડી વાર સુધી મગન ઝાડ પર બેઠો રહ્યો પછી ગુફામાં થી લોહી નીકળતું જોઇ એ દુખી થઇ ને ઘરે જતો રહ્યો. અને છગનનો પાન નો ગલ્લો લઇ લીધો અને પોતે ચલાવવા માંડ્યો. હવે એક દિવસ મગન પાનનાં ગલ્લે બેઠો હતો ત્યારે છગન આવ્યો અને એની ફેંટ પકડી ને બહાર કાઢ્યો અને કીધુ, “આવ ગદ્દાર, તને મજા ચખાડુ છુ”… એમ કહીને એને મારવાનો ચાલુ કર્યો… અચાનક છગનનાં મગજમાં કેમિકલ લોચો થયો અને એને ગાંધી બાપુ દેખાયા…તો ગાંધી બાપુ એ કીધુ કે બેટા મારવું સહેલું છે, માફ કરવું અઘરું છે….અને મગન નાં મગજમાં કેમીકલ લોચો થયો અને એને પણ ગાંધી બાપુ દેખાયા…તો એને ગાંધી બાપુ એ કીધુ કે માફી માગ, માફી માગવી અઘરી છે લાફા મારવા કરતાં… તો આમ મગને માફી માગી અને છગને માફ કરી દીધો અને બંને પછી દોસ્ત બની ને રહ્યા. ખાધુ પીધુ ને મોજ કરી.
બોધ – રામાયણનો વાલી વધ વાળો એપીસોડ જોયા બાદ તરત લગે રહો મુન્નાભાઇ જોતા જોતા રીંછ વાળી વાર્તા લખવી નહિ.
વાર્તામાં વળાંક: શિયાળ અને બગલો
Posted by saksharthakkar in વાર્તામાં વળાંક on March 11, 2009
એક બગલો — શિયાળ ને પોતાને ત્યા જમવા બોલાવુ —- ખિર કુજા મા ખાવા આપવિ શિયાળ નુ મોઢુ કુજા માઁ ના ઘુસવુ ભુખ્યા રેહવુ ——- બદલો લેવા બગલા ને પોતાને ઘેર જમવા આમત્રણ આપવુ ——–રકાબિમા ખિર ખાવા આપવિ બગલા નુ ભુખ્યા રેહવુ ——– શિયાળ નુ બગલા ને પણ ખઇ જવુ
ભાગ ૧ – એક બગલો હતો, એ ઇલેક્શન માં ઉભો હતો. વિશ્વાસનો મત જીતવા માટે એને માત્ર એક મત ખુટતો હતો. એટલે એ મત મેળવવાની લાલચે એણે એક શિયાળને પોતાના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું. હવે શિયાળને એક ટાઇમનો ખાવા નો મેળ પડી ગયો એટલે એણે ખુશ થઇને પોતાનો વિશ્વાસનો મત બગલા માટે જાહેર કરી દિધો. પણ જ્યારે શિયાળ બગલાનાં ઘરે ખાવા આવ્યું ત્યારે બગલાએ શિયાળને કુંજામાં ખીર ભરીને આપી(પ્લિઝ એવુ ના પુછશો કે બગલાએ ખિર કેવી રીતે બનાવી, અમારે મુદ્દાઓને વળગી રહેવુ પડતુ હોય છે, મજબુરી છે)
ભાગ ૨ – શિયાળ ચતુર હતો એ બગલાની આ ખીર નહિ ખવડાવાની ભાવના ને સમજી ગયો પણ એણે એક ઉપાય કર્યો, પથ્થર લઇને કુંજામાં નાંખ્યા(કેમ કાગડા એકલા હોશિયાર હોય છે કાંઇ) એટલે ખીર કિનારી પર આવી અને એણે પીધું પણ પછી ઉતાવળમાં કુંજો પડી ગયો એટલે એને બધી ખીર પીવા ના મળી.
(શિયાળનો બદલો આવતા અંકે)
ભાગ ૩- હવે ઇલેક્શનમાં બગલો જીતી ગયો તો એને ધન્યવાદ આપવા માટે શિયાળ એ બગલા ને પોતાના ઘરે જમવા બોલાવ્યો અને રકાબીમાં ખીર આપી (શિયાળે ખીર કેવી રીતે બનાવ્યુ તે જાણવા માટે ભાગ -૧ જુઓ), હવે બગલાએ પણ રકાબી માં પથ્થર નાંખ્યા(નકલમાં અકલ વાપર્યા વગર) અને રકાબી તુટી ગઇ અને એને ખીર ખાવા ના મળી. હવે શિયાળ બગલાને ખાવા જતો હતો ત્યારે જ બગલાએ કીધુ કે અમે તમને રેલ્વે મંત્રાલય આપવાનાં છે અને તમે અમને મારવા માગો છો. આ સાંભળી શિયાળે બગલાને મારવાનું માંડી વાળ્યુ અને રેલ્વે મંત્રાલય લઇ લીધુ અને બધી દુશ્મની છોડી દીધી.
બોધ – ખુરશી મળતી હોય ત્યારે બદલાની ભાવના છોડી દેવી જોઇએ.
વાર્તામાં વળાંક : સાત પુછડી વાળો ઉંદર
Posted by saksharthakkar in વાર્તામાં વળાંક on March 9, 2009
સાત પુછડી વાળો ઉંદર – મિત્રો નુ ચીડવવુ – કંટાળી રોજ એક પૂછડી કાપવી – બધી પુછડી કપાઇ જવા બાદ પણ મિત્રો નુ ચીડવવુ – બોધ
એકવાર એક સાત પુંછડીવાળો ઉંદર હતો. એ શાળા એ જતો તો એને બધા મિત્ર ઉંદર ચીડવતા હતા, “સાત પુંછડી વાળો”. તો ઘરે આવીને એણે એના પપ્પાને કહ્યું. એના પપ્પા ડોક્ટર હતા, તો ઓપરેશન કરીને એક પુંછડી કાઢી દીધી. બીજા દિવસે એ સ્કુલે ગયો તો બધા છ પુછડીવાળો ઉંદર એમ કહી ને ચીડવવા લાગ્યા ફરીથી એના પપ્પાએ ઓપરેશન કરીને બીજી પુછડી કાઢી દીધી. આવુ છ દિવસ ચાલ્યુ, અને છ પુછડી કપાઇ ગઇ. હવે સાતમા દિવસે ઉંદર ગયો અને બધા ઉંદર એને એક પુછડી વાળો કહેવા લાગ્યા, તો પછી એ પણ બધા ઉંદર ને ચીડવવા લાગ્યો કે તમારે પણ એક જ પુછડી. તો બધા ઉંદર એને ચીડવવાનુ બંધ કરી દીધુ , અને ઉંદર ના પપ્પાએ એ કાપેલી છ પુછડી નું દાન “પુચ્છવિહીન ઉંદર શાળા”નાં ઉંદરો ને કરી દીધુ, જેથી છ બાડા ઉંદરને નવી પુછડી મળી ગઇ.
બોધ – પુછડિદાન એ મહાદાન છે. તમારી પુછડી કોઇ પુચ્છવિહીન ઉંદરને નવું જીવન(પુછડી) અપાવી શકે છે.
(નોંધ – આ બોધ ઉંદરો માટે છે, એટલે વધારે ઇમ્પ્રેસ થઇ, પોતાની પાછળ પુછડી શોધવાનાં વ્યર્થ પ્રયત્નો ન કરવા, અને તો પણ મળી જાય પુછડી તો, “પુછડીદાન એ મહાદાન છે” )
વાર્તામાં વળાંક : અલીબાબા અને ચાલીસ ચોર
Posted by saksharthakkar in વાર્તામાં વળાંક on March 7, 2009
અલી બાબા નામનો વ્યકતી —- ૪૦ ચોર નો પીછો —— તેમનો ખજાનો જોઈ જવો —– ચોર ની ગેર હાજરી મા ખુલ જા સીમ સીમ કહી ખજાનો લુટવો — ચોરો ને ખબર પડ્વી —– છુપા વેશે અલીબાબા ના ઘરમા પ્રવેશ કર્વો —- અલીબાબા એ યુકતી અજમાવી
એક બાબા હતા અલીબાબા. એ જ્યારથી બાબા(નાના બાબા) હતા ત્યારથી વિદેશી મોબાઇલનો શોખ હતો. એમણે એકવાર સાંભળ્યુ ક લંડનથી ૪૦ ચોરોની ટોળકી બ્રિટીશ એરવેઝમાં વિદેશી મોબાઇલ લઇ ને આવે છે. અલીબાબા તો પહોંચી ગયા છત્રપતિ શીવાજી એરપોર્ટ પર…
અને પેલા ચોર લોકો નો પીછો કર્યો. જોયું તો એ લોકો દુર એક હોટેલમાં ભેગા થયા, અને એક રુમ બુક કરાવ્યો. અલીબાબા પણ પાછળ પાછળ ગયા, એમની રુમમાં, રુમ તો ખાલી બે જણ ને રહેવાય એવો જ હતો, અને એમાં આ ૪૧ જણ ભરાયા હતાં (૪૦ ચોર + અલીબાબા)… હોટેલના માલિકને શક થયો કે દાળમાં કંઇક ગુલાબી છે(હોટેલમાલિકને રંગ અંધતા હતી)…એટલે એણે પોલીસ ને ફોન કર્યો…આ બાજુ બધા ચોરે પોતાના મોબાઇલ કાઢ્યા, પણ જોયું તો સિમકાર્ડ લોક હતું, એ ખોલવા માટે બધા એક સાથે બોલ્યા “ખુલ જા સિમ સિમ”. અને આ મોટો અવાજ સાંભળીને હોટેલ પર આવી પહોંચેલી પોલિસ એ લોકો ના રુમ તરફ ધસી, એક ચોર ને ખબર પડતા એણે બધા મોબાઇલ બારી ની બહાર ફેંકી દીધા, આ જોઇને સિફતતા પુર્વક અલીબાબા પોલીસ આવે તેની પહેલા નીકળી ગયા અને જ્યાં મોબાઇલ પડ્યા’તા ત્યાં ગયા. એમને થયુ કે સીમકાર્ડ નું લોક ખુલી ગયુ હશે, ચોરો ના “ખુલ જા સીમ સીમ થી” પણ એકપણ મોબાઇલ ના લોક નતા ખુલ્યા. અલીબાબા એ ફરી એવું જ બોલ્યુ પણ છતાં લોક ના ખુલ્યુ. ઘરે જઇ ને બહુ જ ટ્રાય કર્યા, પાસવર્ડ અલગ અલગ બોલ્યા, પછી મોબાઇલમાં જોયુ તો એવું લખ્યુ તુ કે “Please enter code to unlock this mobile” એટલે એમણે અલગ અલગ પાસવર્ડ ટ્રાય કર્યા પણ મેળ ના પડ્યો છેવટે દુખી થઇ, પોલિસ થી બચવા બધા મોબાઇલ એક કુવામાં નાખી દીધા.
બોધઃ “ખુલ જા સિમ સિમ મોબાઇલ સ્ટોર” – અહીં નોકિયા, સેમસંગ, એલ.જી. તથા મોટોરોલાના કોઇપણ મોબાઇલનાં લોક માત્ર રુ. ૩૦૦ માં ખોલી આપવામાં આવે છે.
















તમે કહ્યું